image

કૃષ્ણપરા કૃષિ માર્ગદર્શન

પરંપરાગત પદ્ધતિ સાથે હવે પ્રાકૃતિક કૃષિ અનિવાર્ય ગણાવતાં નિષ્ણાતો
કૃષ્ણપરા ગામે યોજાયેલ કૃષિ માર્ગદર્શન 
 
ઈશ્વરિયા સોમવાર તા.૧૭-૪-૨૦૨૩
 
કૃષિપ્રધાન આપણાં દેશમાં પરંપરાગત પદ્ધતિ સાથે હવે પ્રાકૃતિક કૃષિ અનિવાર્ય ગણાવતાં નિષ્ણાતોએ સિહોર તાલુકાના કૃષ્ણપરા ગામે યોજાયેલ કૃષિ માર્ગદર્શનમાં વિવિધ જાણકારી આપી છે.
 
સિહોર તાલુકાના પ્રગતિશીલ કૃષ્ણપરા ગામે કૃષિ માર્ગદર્શનનો આ પંથકના ખેડૂતોને લાભ મળ્યો છે. 
 
અગાઉના અવનવા સંશોધનો તેમજ બેરોકટોક રસાયણોના દુષ્પ્રભાવ સામે હવે સરકાર અને ખેડૂતો પણ સજાગ બનેલ છે ત્યારે કૃષિપ્રધાન આપણાં દેશમાં પરંપરાગત પદ્ધતિ સાથે હવે પ્રાકૃતિક કૃષિ અનિવાર્ય હોવાનું અહી નિષ્ણાતોએ એક સુર સાથે જણાવ્યું છે.
 
આ શિબિરમાં ભાવનગર જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી અશોક પટેલે ઓછા ખર્ચ સાથે વધુ ઉત્પાદન માટે મિશ્ર અને આંતરપાક, મૂલ્યવર્ધિત કૃષિ વ્યવસાય અને જળ બચાવવા સાથે જમીન બચાવવા જણાવેલ. તેઓએ પ્રાકૃતિક અને ગાય આધારિત ખેતી વિશે કહ્યું.
 
કૃષિ બાગાયત વિભાગના શ્રી વાઘમશી દ્વારા સરકારની ૧૨૮ જેટલી ખેતીમાં સહાયક યોજનાઓનો લાભ લેવા વિગતવાર સમજણ આપી જેના દ્વારા ખેતી સુધારણા માટે અનુરોધ કર્યો. તેઓએ આ વિસ્તારમાં સરગવાની ખેતી માટે ખેડૂતોને બિરદાવ્યા.
 
ખેતીવાડી અધિકારી શ્રી પરમાર દ્વારા વૈજ્ઞાનિક અને પ્રાકૃતિક ખેતી સંદર્ભે મળતી તાલીમની વિગતો આપી તેમાં ખેડૂતોને જોડાવા ભલામણ કરી.
 
સણોસરા લોકભારતી સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા શ્રી નિગમ શુક્લ દ્વારા ખેતીને આપણી સંસ્કૃતિ સાથે જ પરિવર્તન સાથે જોડવા અને વ્યવસાયલક્ષી બનાવવા અનિવાર્ય ગણવા ભાર મૂક્યો.
 
કૃષિ વિજ્ઞાન કેન્દ્રના શ્રી વિનીત સવાણીએ કેન્દ્રમાં મળતી તાલીમ અંગે જાણકારી આપી. 
 
કૃષ્ણપરા ગામે જય વેજિટેબલના સંચાલકો શ્રી અભેશંગભાઈ પરમાર તથા શ્રી હમીરભાઈ રાઠોડના સૌજન્ય આયોજન સાથે અહી કૃષિ અને ગ્રામવિકાસ જોડાયેલ વીઆરટીઆઈ સંસ્થાના શ્રી નરેન્દ્રસિંહ ઝાલા, ખેતીવાડી વિસ્તરણ વિભાગના શ્રી જીજ્ઞાબેન સાંબડ, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના શ્રી સરજબેન ચૌધરી અને બિયારણ પેઢીના શ્રી કપિલ ચૌબે દ્વારા પ્રાસંગિક માર્ગદર્શન અપાયું હતું.
 
શ્રી અશ્વપાલ રાઠોડના સંચાલન સાથે આ શિબિરમાં આભાર વિધિ શ્રી મૂકેશ પંડિતે કરી હતી. આ શિબિરમાં ખેડૂતો દ્વારા રસપ્રદ પ્રશ્નોત્તરી લાભ મળ્યો.