image

'દર્શક' પ્રતિષ્ઠાન ભાવનગરમાં સન્માન કાર્યક્રમ શ્રી મોરારિબાપુ

સન્માનિત શ્રી લાભશંકરદાદા અને શિશુવિહાર સંસ્થા એટલે વ્યવહારમાં કોમળ અને શિસ્તમાં કઠોર તત્વનો સુમેળ - શ્રી મોરારિબાપુ
શ્રી મનુભાઈ પંચોળી 'દર્શક' પ્રતિષ્ઠાન દ્વારા ભાવનગરમાં યોજાયો સન્માન કાર્યક્રમ
 
ઈશ્વરિયા મંગળવાર તા.૨-૫-૨૦૨૩
 
શ્રી મનુભાઈ પંચોળી 'દર્શક' પ્રતિષ્ઠાન દ્વારા ભાવનગરમાં યોજાયેલ સન્માન કાર્યક્રમમાં  આશીર્વચન આપતા શ્રી મોરારિબાપુએ સન્માનિત શ્રી લાભશંકરદાદા અને શિશુવિહાર સંસ્થા એટલે વ્યવહારમાં કોમળ અને શિસ્તમાં કઠોર તત્વનો સુમેળ હોવાનો ભાવ વ્યક્ત કર્યો.
 
શ્રી મોરારિબાપુએ રામચરિત માનસ સહિત પ્રસંગોના ઉલ્લેખ સાથે બ્રહ્મની વ્યાખ્યા મુજબ સન્માનિત શ્રી લાભશંકરદાદા અને શિશુવિહાર સંસ્થા એટલે વ્યવહારમાં કોમળ અને શિસ્તમાં કઠોર તત્વનો સુમેળ થયેલો છે. અહી સેવારૂપી અને શબ્દરૂપી બ્રહ્મની સેવા કરનારના સન્માન થઈ રહ્યાનો ભાવ વ્યક્ત કર્યો. 
 
શ્રી મોરારિબાપુએ હળવી રીતે કહ્યું કે સન્માનમાં ગુણ અને અવગુણ બંનેના ઉલ્લેખ થાય તેવા ઉપક્રમો પણ યોજવા જોઈએ. 
 
શ્રી મનુભાઈ પંચોળી 'દર્શક'  સ્થાપિત લોકભારતી તથા શ્રી માનભાઈ ભટ્ટ સ્થાપિત શિશુવિહાર સંસ્થાની પ્રવૃત્તિ અને શ્રી લાભશંકર પુરોહિતની શબ્દ સાહિત્ય અને શાસ્ત્રની સેવાને વંદનીય ગણાવી. વૃક્ષો અને વૃદ્ધો બંનેની જરૂર છે, બંને જીવનને છાંયો આપે છે, તેમ જણાવી સત્ય, પ્રેમ અને કરુણાનો મહિમા જણાવ્યો.
 
શ્રી મનુભાઈ પંચોળી 'દર્શક' પ્રતિષ્ઠાન દ્વારા અહી સાહિત્ય સેવા માટે વિદ્વાન શ્રી લાભશંકર પુરોહિત અને શિક્ષણ સેવા માટે શિશુવિહાર સંસ્થાને સન્માન અર્પણ કરવામાં આવેલ.
 
અધ્યક્ષ સ્થાને રહેલા સમાજસેવી ઉદ્યોગપતિ શ્રી મધુકરભાઈ પારેખે આ પ્રસંગ માટે પ્રસન્નતા વ્યક્ત કરી હતી.
 
સન્માનિત શિશુવિહાર વતી શ્રી નાનકભાઈ ભટ્ટ અને શ્રી લાભશંકર પુરોહિત દ્વારા પ્રાસંગિક પ્રતિભાવમાં આનંદ વ્યક્ત કર્યો.
 
આ કાર્યક્રમમાં શિશુવિહાર વિશે શ્રી છાયાબેન પારેખ તથા શ્રી લાભશંકર પુરોહિત વિશે શ્રી નીતિનભાઈ વડગામા દ્વારા પરિચય રજૂ કરવામાં આવેલ.
 
જાણીતા ચિંતક પત્રકાર શ્રી પ્રકાશ ન. શાહ દ્વારા થયેલ પ્રાસંગિકમાં શ્રી 'દર્શક' એ વિશ્વ સંદર્ભના માણસ ગણાવેલ અને શ્રી માનદાદાની પ્રવૃત્તિને બિરદાવી વંદનાભાવ વ્યક્ત કરેલ.
 
કાર્યક્રમ પ્રારંભે આ સન્માન સંદર્ભે શ્રી મનસુખભાઈ સલ્લાએ સંસ્થાની પ્રવૃત્તિ સાથે સન્માન અંગે ભૂમિકા રજૂ કરી શ્રી 'દર્શક' દ્વારા તેમની હયાતી દરમિયાન શરૂ થયેલી પ્રક્રિયા અને સાહિત્ય, શિક્ષણ અને ગ્રામપુનરોદ્ધાર માટેના આ સન્માનની વિગતો જણાવી.
 
અહી સન્માનપત્ર વાચન શ્રી ગીતાબેન ઝવેરીએ કરેલ.
 
સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમમાં પ્રારંભે શ્રી સ્વાતિબેન પાઠક દ્વારા ભજન ગાન રજૂ થયેલ. આભાર વિધિ શ્રી સંજય ચૌધરીએ કરેલ જ્યારે સંચાલનમાં શ્રી અજય રાવળ રહ્યા હતા.
 
સન્માન કાર્યક્રમમાં જાણિતા સાહિત્યકાર શ્રી કુમારપાળ દેસાઈ, શ્રી હરિશ્ચંદ્રભાઈ જોષી, શ્રી વિનોદ જોષી, શ્રી સુભાષ ભટ્ટ, શ્રી નટવર આહલપરા સાથે શિક્ષણક્ષેત્રના અગ્રણીઓ શ્રી અરુણભાઈ દવે, શ્રી રામચંદ્રભાઈ પંચોળી, શ્રી પ્રવિણચંદ્ર ઠક્કર, નલીનભાઈ પંડિત, શ્રી હસમુખભાઈ દેવમુરારી, શ્રી સુરશંગભાઈ ચૌહાણ, શ્રી પ્રશાંત ભટ્ટ, શ્રી જીજીભાઈ ચૌહાણ સાથે અગ્રણીઓ શ્રી નાનુભાઈ વાઘાણી, શ્રી જયંતભાઈ વાનાણી તેમજ શુભેચ્છાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.