image

ભાવનગર શિશુવિહાર ખાતે નાગરિક સન્માન

પરિવાર, સમાજ, રાષ્ટ્ર અને સમગ્ર વિશ્વની સેવા
એ માનવીનું કર્તવ્ય - શ્રી મોરારિબાપુ
ભાવનગરમાં શિશુવિહાર સંસ્થા ખાતે શ્રી માનભાઈ ભટ્ટ નાગરિક સન્માન સમારોહ
 
ઈશ્વરિયા સોમવાર તા.૫-૧૨-૨૦૨૨
 
ભાવનગરની સુપ્રસિદ્ધ સેવા સંસ્થા શિશુવિહાર ખાતે યોજાયેલ શ્રી માનભાઈ ભટ્ટ  નાગરિક સન્માન સમારોહમાં શ્રી મોરારિબાપુએ પરિવાર, સમાજ, રાષ્ટ્ર અને સમગ્ર વિશ્વની સેવા એ માનવીનું કર્તવ્ય ગણાવી સન્માનિતોની પ્રવૃત્તિ અંગે રાજીપો વ્યક્ત કર્યો.
 
શ્રી મોરારિબાપુના હસ્તે શ્રી માનભાઈ ભટ્ટ નાગરિક સન્માન ૨૦૨૨ અર્પણ કરાયેલ. આ સમારોહમાં પોલિયો નાબૂદી માટે તબીબ શ્રી ભરતભાઈ ભગત, આદિવાસી વિસ્તારોમાં  આંખ સારવાર માટે તબીબ શ્રી શ્રેયાબહેન શાહ, શિક્ષણ સંવર્ધન સુધારણા માટે શ્રી નલીનભાઈ પંડિત અને શિક્ષણ કેળવણી માટે શ્રી છાયાબેન પારેખ સન્માનિત થયા છે.
 
સમારોહના અધ્યક્ષ સ્થાનેથી શ્રી મોરારિબાપુએ શિશુવિહાર સંસ્થાના સ્થાપક શ્રી માનદાદાના પૂણ્ય સ્મરણ સાથે ગાંધી મૂલ્યો અને શિક્ષણ સેવાની વાત કરી, આ સેવા સાધનાના બીજનું વાવેતર ભરપૂર રીતે ઉગી નીકળ્યાંનું જણાવ્યું. 
 
શ્રી મોરારિબાપુએ આ પ્રસંગે શિક્ષકોના સામાજિક ઉત્તરદાયિત્વ સાથે પરિવાર, સમાજ, રાષ્ટ્ર અને સમગ્ર વિશ્વની સેવા એ માનવીનું કર્તવ્ય ગણાવી માત્ર માનવનું જ નહિ, સમગ્ર સૃષ્ટિનું ઉત્તરદાયિત્વ અને સંભાળ રાખવા ભારપૂર્વક જણાવ્યું.
 
સંસ્થાના વડા શ્રી નાનકભાઈ ભટ્ટ દ્વારા  સન્માન ઉપક્રમ અને સંસ્થા પ્રવૃત્તિ વિશે વિગતો આપવામાં આવી.
 
સન્માન સાથે શ્રી રસિકભાઈ  હેમાણી સ્મૃતિમાં ભાવનગરની શાળાઓને પુસ્તકાલય સામગ્રીનું શ્રી શિરીષભાઈ ત્રિવેદીને અર્પણ વિધિ કરાયેલ. અહી વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રી વિતરણ તથા તબીબી ઉપકરણની અર્પણ વિધિ થઈ.
 
સંસ્થાના પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ દવે સાથે કાર્યકર્તાઓના સંકલન સાથે કાર્યક્રમ સંચાલનમાં શ્રી સાગર દવે રહ્યા હતા. અહી સન્માનિત મહાનુભાવોએ પોતાના પ્રતિભાવ વ્યક્ત કરેલ.